કોઈ વિચારી પણ શકે કે ટ્વિટર પર કોઈ બીજાના અકાઉન્ટમાં કરેલી કમેન્ટથી કોઈને એકબીજા પ્રત્યે પ્રેમ થાય અને તેઓ લગ્ન કરે? ને આ પ્રેમ ને લગ્ન કરવા પાછળનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય. આજે આપણે એક એવા અનોખા લગ્ન અંગે વાત કરીશું, જે 2019માં યોજાયા હતા. આ લગ્ન પાછળ મોદીનું ખાસ કનેક્શન રહેલું છે.
વાસ્તવમાં મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના કુંચડોદ ગામના ગોવિંદ પ્રકાશને શ્રીલંકાની હંસિની સાથે પ્રેમ થયો હતો. બંને ટ્વિટર પર એકબીજાને મળ્યા, પછી પ્રેમ થયો અને લગ્ન પઈ ગયા. બંને એકબીજાની સાથે સાત બંધનમાં બંધાઈ ગયા છે. શ્રીલંકાની હંસિની હંમેશાંના માટે ભારતના ગોવિંદની થઈ ગઈ છે. ગોવિંદ પણ હંસિનીને લાઈફપાર્ટનર તરીકે મેળવીને ખુશ છે. આ બંનેની લવ સ્ટોરી ઘણી જ રસપ્રદ છે.
વડાપ્રધાનની ટ્વિટ લાઈક કરી હતીઃ મંદસૌર જિલ્લાના ગામ કુંચડોદમાં રહેતો ગોવિંદ ટ્વિટર પર મોદીને ફોલો કરે છે. પીએમ મોદીની અનેક પોસ્ટ ગોવિંદ લાઈક કરતો રહેતો હોય છે. આ જ પોસ્ટને હંસિનીએ પણ લાઈક કરી હતી. આ લાઈક જોયા બાદ ગોવિંદને થયું કે વડાપ્રધાનને ફોલો કરનાર આ યુવતી કોણ છે. પછી તેને ખ્યાલ આવ્યો કે હંસિની મોદીની ઘણી જ મોટી પ્રશંસક છે.
હાઈ-હેલ્લોથી થઈ શરૂઆતઃ ગોવિંદે હંસિનીને હાય લખીને મેસેજ કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે નિયમિત રીતે મેસેજ થયા હતા અને પછી તેમણે એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્વીકાર્યો હતો. હંસિની શ્રીલંકાથી ભારત આવી હતી. તેણે માંડ માંડ પેરેન્ટ્સને મનાવ્યા હતા. તેણે જન્મકુંડળી પણ મેળવી હતી. જન્મકુંડળી મળી ગઈ એટલે હંસિનીના પેરેન્ટ્સ પણ લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. હંસિની પરિવાર સહિત મધ્ય પ્રદેશના કુંચડોદ ગામ આવી હતી. ત્યારબાદ બંને પરિવાર વચ્ચે વાત થઈ હતી અને પછી બંનેએ લગ્ન કર્યા હતા. ગોવિંદ તથા હંસિની વડાપ્રધાન મોદીના ચાહક છે.
વીડિયો કૉલિંગમાં વિશ્વાસ થયોઃ હંસિની ફિઝિયોથેરાપિસ્ટ છે. ગોવિંદ ગામડામાં નાનકડો વેપાર કરે છે. તેના પિતા પાસે ખેતી પણ છે. પરિવાર હંસિનીને વહુ તરીકે મેળવીને ઘણો જ ખુશ છે. પરિવાર સહિત આસપાસના લોકો પણ ડરેલા હતા કે ક્યાંક ફૅક આઈડી તો નથી.
કોઈના પણ પ્રેમના ચક્કરમાં ફસાઈને ગોવિંદ છેતરપિંડીનો ભોગ તો નહીં બને ને જોકે, જ્યારે ગોવિંદે વીડિયો કૉલમાં હંસિનીને જોઈ ત્યારે તમામને તેના પર વિશ્વાસ થઈ ગયો હતો. હંસિનીના પિતા શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં વકીલ છે તો માતા પ્રોફેસર છે. તેઓ શુદ્ધ શાકાહારી છે. તેઓ દીકરીના લગ્ન એક એવા પરિવારમાં કરાવવા માગતા હતા, જે શુદ્ધ શાકાહારી હોય.
વરરાજાના કાકા મહેન્દ્ર માહેશ્વરીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાં સો.મીડિયામાં લાખો ફોલોઅર્સ છે, પરંતુ વડાપ્રધાનને કારણે કોઈની સાથે મિત્રતા થાય અને તે પ્રેમમાં પરિણમે અને પછી લગ્ન થાય. આવો કિસ્સો તો આ પહેલો જ છે.