બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોતમાં રોજિંદમાં 9, પોલારપુરમાં 2, ભીમનાથમાં 1, ચદરવામાં 2, રાણપુરમાં 1, દેવગનામાં 3, રણપુરીમાં 1, કોરડામાં 1, ધંધુકા તાલુકાના 9 મળીને કુલ 29 લોકોના મોત નિપજ્યા છે. બીજીતરફ પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે.
જિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 29એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે જેમા રોજિદ ગામમાં મોતનો આંકડો 9 એ પહોંચ્યો છે. વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે.
ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. બીજીતરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે. હાલમાં ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.
હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.
ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.
અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો, રોજીદ સહિત 3 ગામમાં વેચાયો
એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો.
બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.